વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત 13મી વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું. આ વખતે તેમનું સંબોધન આશરે 76 મિનિટ સુધી ચાલ્યું. ભાષણમાં તેમણે વિકસિત ભારત @2047ના લક્ષ્ય સાથે છેલ્લા 12 વર્ષમાં દેશમાં થયેલા બદલાવ અને સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો.
પીએમ મોદીએ મહાત્મા ગાંધી અને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સહિત સુભાષચંદ્ર બોઝ, શ્યામાપ્રસાદ મુખર્જી, બિરસા મુંડા અને જ્યોતિબા ફુલેને યાદ કર્યા. તેમણે કહ્યું કે આ મહાનુભાવોએ જે ભારતનું સપનું જોયું હતું, તેને સાકાર કરવા માટે દેશવાસીઓએ સંકલ્પ અને સામર્થ્ય સાથે આગળ વધવું પડશે.
વડાપ્રધાને ખાદી અને ગ્રામોદ્યોગની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં તેનું ઉત્પાદન આશરે પાંચ ગણું વધ્યું છે. જ્યારે ડિફેન્સ પ્રોડક્શન ચાર ગણું, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સાત ગણું અને મોબાઇલ ફોનનું ઉત્પાદન 33 ગણું વધ્યું છે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં આશરે 100 ગણો વધારો થયાનો દાવો કરતાં પીએમ મોદીએ ઇન્ટરનેટ યુઝર્સ અને પેટન્ટ ગ્રાન્ટમાં પણ વધારો થયાનો ઉલ્લેખ કર્યો.
ગવર્નન્સમાં થયેલા બદલાવનો ઉલ્લેખ કરતાં તેમણે જૂના કાયદાઓ નાબૂદ કરવાની સાથે ‘નલ સે જલ’, ગેસ કનેક્શન, શૌચાલય અને ગરીબો માટે આવાસ નિર્માણની કામગીરીની ગતિ વધારવાની વાત કરી.
Reporter: admin







