અમેરિકાના ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી રાજ્યમાં 15 ઓગસ્ટ, 2026ને ‘ભારત સ્વતંત્રતા દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે 15 ઓગસ્ટને ભારત સ્વતંત્રતા દિવસ તરીકે જાહેર કરતો આદેશ જારી કર્યો છે. જ્યારે ન્યૂ જર્સીના ગવર્નર મિકી શેરીલે પણ આવી જ જાહેરાત કરી છે.
ન્યૂયોર્ક સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસે જણાવ્યું કે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે કરવામાં આવેલી આ જાહેરાતો ભારતની આઝાદીની ઐતિહાસિક યાત્રા તેમજ ભારત અને અમેરિકા વચ્ચેના સહિયારા લોકતાંત્રિક મૂલ્યોને ઉજાગર કરે છે.
ન્યૂયોર્ક અને ન્યૂ જર્સી એકબીજાના પાડોશી રાજ્યો છે અને અહીં અમેરિકાના સૌથી મોટા તથા પ્રભાવશાળી ભારતીય-અમેરિકન સમુદાયોમાંનો એક વસે છે. ભારતીય મૂળના લોકો બિઝનેસ, હેલ્થકેર, ટેક્નોલોજી, શિક્ષણ અને જાહેર સેવાના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
ન્યૂયોર્કના ગવર્નરની જાહેરાતમાં રાજ્યના સાંસ્કૃતિક, આર્થિક અને નાગરિક જીવનમાં ભારતીય-અમેરિકન સમુદાયના યોગદાનને પણ બિરદાવવામાં આવ્યું છે. સાથે જ બ્રિટિશ શાસન સામે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આત્મનિર્ણય, સ્વશાસન તથા લોકશાહી પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પણ યાદ કરવામાં આવી છે.
Reporter: admin







