અધિક માહિતી નિયામક ડો. સંજય કચોટે આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી માહિતી અને પ્રસારણ ક્ષેત્રમાં માહિતી વિભાગની પોલિસી કોમ્યુનિકેશનની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે લોકકેન્દ્રિત શાસનવ્યવસ્થામાં અસરકારક સંવાદના મહત્વ પર ભાર મૂકતાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓને લોકો સુધી વિશ્વસનીય અને અસરકારક રીતે પહોંચાડવામાં માહિતી વિભાગની ભૂમિકાથી વિદ્યાર્થીઓને અવગત કર્યા હતા.

વિદ્યાર્થીઓને સંબોધતા ડો. સંજય કચોટે બેંગોલ ગેઝેટથી શરૂ થયેલી ભારતીય પત્રકારત્વની સફરથી લઈને આજની કન્ટેન્ટ અને ક્રિએટર ઇકોનોમી સુધીના મીડિયા ક્ષેત્રના વિકાસક્રમની રસપ્રદ માહિતી આપી હતી. તેમણે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં આવેલા પરિવર્તનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં ઉભી થયેલી નવી તકો તેમજ પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ વિવિધ કારકિર્દીના વિકલ્પો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના માહિતી ખાતા વતી પ્રાદેશિક માહિતી કચેરી અને ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશન વચ્ચે એક લેટર ઓફ ઇન્ટેન્ટ સાઇન કરી નોલેજ શેરિંગ પાર્ટનરશીપ કરવામાં આવી છે. જે અંતર્ગત ડો. કચોટના વિશેષ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ફેલોશીપ સહિત યોજનાઓ પર ચર્ચા
આ પ્રસંગે ડો. સંજય કચોટે ફેકલ્ટી ઓફ જર્નાલિઝમના ડીન અવની મણિયાર તથા પ્રોફેસર પ્રતિભા મોઇત્રા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રી ફેલોશીપ સહિત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના વ્યાપક પ્રચાર-પ્રસાર, શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન તથા યુવા પેઢાની સક્રિય ભાગીદારી જેવા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ અને માહિતીનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંયુક્ત માહિતી નિયામક હેતલ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકારોની કથામાં જોડાયા ડો. સંજય કચોટે
વડોદરા મુલાકાત દરમિયાન અધિક માહિતી નિયામક ડો. સંજય કચોટે અષાઢી બીજના પાવન અવસરે પત્રકારમિત્રો દ્વારા આયોજિત ભગવાન શ્રી સત્યનારાયણની કથામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત તેમણે માહિતી વિભાગની વડોદરા કચેરીની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વિવિધ વહીવટી તથા પ્રચારાત્મક બાબતો અંગે માર્ગદર્શનાત્મક ચર્ચા કરી હતી.
Reporter: admin







