વડોદરા: વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે વડોદરા સ્થિત ઈશા હોસ્પિટલ દ્વારા સ્તનપાન અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ અને આશા વર્કર્સ માટે તાલીમ સત્રો યોજાયા હતા. નર્સિંગ સ્ટાફ માટે ક્વિઝ અને પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
સગર્ભા માતાઓને સ્તનપાન અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ સેમિનાર યોજાયો હતો. આ ઉપરાંત તાજેતરમાં માતા બનેલી મહિલાઓ સાથે ચર્ચા કરીને તેમના અનુભવો અને પડકારો જાણવામાં આવ્યા હતા અને તેમને જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઈશા હોસ્પિટલના નિયોનેટોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયન ડો. મોહમ્મદ ગાંધીએ જણાવ્યું હતું કે માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન છે. તે નવજાત શિશુને જરૂરી પોષણ પૂરું પાડવાની સાથે તેની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે માતાનું ધાવણ બાળકના તંદુરસ્ત વિકાસ માટે મહત્વપૂર્ણ છે. સ્તનપાનથી માતા અને બાળક વચ્ચેનું ભાવનાત્મક બંધન પણ વધુ મજબૂત બને છે. આમ, માતાનું દૂધ માત્ર પોષણનો સ્ત્રોત નથી, પરંતુ બાળકના સવાંગી વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
Reporter: admin







