વડોદરા: નિ સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમતી ઇન્દુમતી શાહ અને શ્રી નીરજભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે માંજલપુર સ્થિત પંચાલ વાડી ખાતે વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન 350થી વધુ દિવ્યાંગ ભાઈ-બહેનોને વિવિધ કિટ અને જરૂરી સાધન-સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી અજિતભાઈ પટેલના આર્થિક સહયોગથી 400થી વધુ દિવ્યાંગો અને તેમના પરિવારજનો માટે મહાભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સામાજિક જવાબદારીના ભાગરૂપે કાર્યક્રમમાં રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં 75થી વધુ અંધજનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ટ્રસ્ટના પ્રતિનિધિ સલીમ વોરાએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, નિ સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન દિવ્યાંગોના કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં દિવ્યાંગ માતા-પિતાના બાળકોને શૈક્ષણિક સહાય, 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી અને 2 ઓક્ટોબર જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી તેમજ હોળી અને દિવાળી જેવા તહેવારોની ઉજવણીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત દિવ્યાંગ ભાઈ-બહેનોના જીવનમાં નવી શરૂઆત થાય તે હેતુથી સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવે છે.
જન્મદિવસની ઉજવણીને સેવાકાર્ય સાથે જોડીને ઇન્દુમતી શાહ અને નીરજભાઈ શાહે દિવ્યાંગો પ્રત્યે સંવેદના અને સામાજિક જવાબદારીનો સુંદર સંદેશ આપ્યો હતો.

Reporter: admin







