અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્ય-પૂર્વમાં વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે ભારતીય વેપાર જગત પર પણ ગંભીર રીતે જોવા મળી રહી છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુદ ખુલાસો કર્યો છે કે આ સંકટના કારણે તેમના પરિવારના બિઝનેસને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ જણાવ્યું હતું કે મધ્ય-પૂર્વમાં સર્જાયેલા સંકટના કારણે તેમના પરિવારના સેંકડો કન્ટેનર રસ્તામાં જ ફસાઈ ગયા છે, જેના કારણે માલસામાનની ડિલિવરી અટકી ગઈ છે અને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.ગડકરીએ જણાવ્યું હતું કે, “મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટના કારણે અમારો ધંધો લગભગ ચોપટ થઈ ગયો છે. તેમ છતાં અમે હાર માની નથી અને હવે સ્થાનિક બજારમાં માલ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે તેમની કંપની ખાંડમાંથી ડિટર્જન્ટ બનાવે છે અને આ વ્યવસાયની જવાબદારી તેમની વહુ સંભાળી રહી છે. કંપની દર મહિને લગભગ 100 કન્ટેનર ડિટર્જન્ટ અમેરિકામાં મોકલતી હતી, પરંતુ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા હવે આ કન્ટેનરોનું પરિવહન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.મિડલ ઈસ્ટમાં વધતા તણાવના કારણે વૈશ્વિક વેપાર, શિપિંગ રૂટ અને સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી રહી છે. વેપારીઓમાં ચિંતા વધી રહી છે કે જો પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો આંતરરાષ્ટ્રીય વેપાર અને ભારતીય નિકાસ ક્ષેત્રને વધુ મોટું નુકસાન થઈ શકે છે.
Reporter: admin







