બાપોદ પોલીસ સ્ટેશની હદમાં બન્યો હોવાનું જણાવી રાવપુરા પોલીસે પણ હાથ અદ્ધર કરી દીધા...
સીએફઓએ હવે મામલો પોલીસ પર ઢોળી દીધો છે અને ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા છે અને તેમ કરીને તે પોતાની નિષ્ફળતા બતાવી રહ્યા છે...

શહેરમાં ફરી રહેલી નકલી ફાયર એનઓસી મામલે બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસરની અણઆવડતના કારણે ભીનુ સંકેલાઇ રહ્યું છે. સીએફઓએ હવે તપાસ પોલીસ કરશે તેમ હાથ અદ્ધર કરી દીધા છે પણ પોતાની જે જવાબદારી છે તેમાંથી છટકવાનો પ્રયાસ કર્યો છે. હવે આ બનાવ બાપોદ પોલીસ સ્ટેશની હદમાં બન્યો હોવાનું જણાવી રાવપુરા પોલીસે પણ હાથ અદ્ધર કરી દીધા છે અને તપાસના કાગળો બાપોદ પોલીસને મોકલવાની તજવીજ શરુ કરી દીધી છે. બીજી તરફ ચોંકાવનારી વાત એ છે કે બિનઅનુભવી સીએફઓને આ મામલો કેટલો ગંભીર છે તેની તેમને ગતાગમ પડતી નથી. જે સમયગાળામાં આ નકલી ફાયર એનઓસી બની છે તે ગાળામાં આવી કેટલી ફાયર એનઓસી બની છે તેની તપાસ પણ કરવામાં આવતી નથી. ચીફ ફાયર ઓફિસરે આ મામલે મોડે મોડે પણ રાવપુરામાં ફરિયાદની અરજી આપી છે. જેથી રવિવારે પોલીસે તેમનું નિવેદન લીધું છે. પણ મહત્વની વાત એ છે કે આવી તો વડોદરા શહેરમાં કેટલી નકલી ફાયર એનઓસી ફરતી હશે. આ સંજોગોમાં જો ફાયર સેફ્ટીની સુવિધા લીધા વગર જ નકલી ફાયર એનઓસી મેળવાઇ લીધી હોય અને તે જ બિલ્ડીંગમાં જો કોઇ મોટી દૂર્ઘટના બને તો જવાબદાર કોણ હશે તે પ્રશ્ન પુછાઇ રહ્યો છે. અર્ષ બિલ્ડીંગની હોસ્પિટલનો ફાયર વેન્ડર શિવાય એજન્સીના જયેશ મકવાણાએ આવી કેટલી ફાયર એનઓસી વોટસએપ દ્વારા આપી દીધી હશે તે તપાસનો વિષય છે. નિકુંજ આઝાદના નામની જે નકલી ફાયર એનઓસી બજારમાં ફરતી હતી તે બાબતે પોલીસે અર્શ પ્લાઝાના માલિકનો ખુલાસો લીધો છે. તેમણે શિવાય એજન્સીના જયેશ મકવાણા પાસેથી એનઓસી લીધી હતી. તો ફાયર બ્રિગેડે જયેશ મકવાણાને પણ નોટિસ આપવી જોઇએ પણ તે નોટિસ પણ અપાઇ નથી. અર્ષ બિલ્ડીંગને 10 દિવસમાં અસલી ફાયર એનઓસી મેળવવા જણાવાયું છે પણ નવાઇની વાત એ છે કે નકલી ફાયર એનઓસી હોવા છતાં બિલ્ડીંગને સીલ સુદ્ધા કરવામાં આવ્યું નથી. સીએફઓ બિલ્ડરને અને જયેશ મકવાણાને બચાવાના પ્રયાસો કરી રહ્યા છે. ક્યાં સુધી તે આ મહત્વની બાબત પર ઢાંક પિછોડો કરતા રહેશે. આ તો ઠીક છે કે આગ લાગી અને તેમાંથી નકલી ફાયર એનઓસીનું કૌંભાડ બહાર આવ્યું. જો કદાચ આગ ના લાગી હોત તો આ નકલી ફાયર એનઓસી બજારમાં ફરે છે તેની જાણકારી ક્યારેય બહાર આવી ના હોત અને આ બિનઅનુભવી સીએફઓની નિષ્ફળતા સાબિત કરે છે.
તપાસ બાપોદ પોલીસ કરશે...

આ બનાવ જે બિલ્ડીંગમાં બન્યો છે તે બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં છે જેથી તપાસના કાગળો બાપોદ પોલીસને મોકલવાની તજવીજ કરાઇ છે. હવે તપાસ બાપોદ પોલીસ કરશે
પીઆઇ જાદવ, રાવપુરા પોલીસ સ્ટેશન
નવાઇની વાત એ છે કે બાંધકામ પરવાનગી શાખા હજું પણ ઉંઘે છે...
આ નકલી ફાયર એનઓસી બજારમાં ફરે છે તેનો અહેવાલ ગુજરાતની અસ્મિતા પ્રસારિત કર્યો હતો. જો અહેવાલ પ્રસારિતના કર્યો હોત તો નકલી એન ઓ સી ક્યારેય બહાર આવી ના હોત અને આ બિનઅનુભવી સીએફઓની નિષ્ફળતા સાબિત કરે છે. શું કોઇ આગ કે અન્ય દૂર્ઘટના બને ત્યારે જ તંત્ર જાગશે તે સવાલ થઇ રહ્યો છે. નકલી ફાયર એનઓસી દ્વારા બિલ્ડરો કેવા કેવા કામો કરતા હશે તે પણ પ્રશ્ન છે. નવાઇની વાત એ છે કે બાંધકામ પરવાનગી શાખા હજું પણ ઉંઘે છે. ખરેખર તો બાંધકામ પરવાની શાખાએ બિલ્ડીંગની રજા ચિઠ્ઠી, કમ્પ્લિશન સર્ટીફિકેટ સહિતના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવી જોઇએ પણ ભ્રષ્ટ બાંધકામ શાખા આ કિસ્સામાં પણ ઉંઘતી રહી છે. ફાયર બ્રિગેડે પણ શહેરના તમામ ઇમારતોની ફાયર એનઓસી ચેક કરવી જોઇએ તે કરી નથી.
Reporter: admin