વડોદરા : ગઈ 18 જાન્યુઆરી 2024ના દિવસે વડોદરાના હરણી તળાવમાં બોટ ઊંધી પડતા 12 બાળકો અને 2 શિક્ષકના મોતથી માતમ છવાઈ ગયો હતો.

આ ઘટનાને ગત મહિને એક વર્ષ વીતી ગયું છે, ત્યારે એક વર્ષ બાદ હરણી બોટકાંડના મૃતકોને લઈ વળતર જાહેર કરાયું છે. એક વર્ષથી ન્યાય ઝંખી રહેલા પરિવારજનોને આખરે તંત્રએ વળતર જાહેર કર્યું છે. વડોદરામાં ગત વર્ષે બનેલા હરણી બોટકાંડના બનાવ બાદ વડોદરા સિટી નાયબ કલેક્ટર વી કે સાંભડ દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે. જેમાં પ્રત્યેક 12 મૃતક બાળકના પરિવાર માટે 31,75,700 રૂપિયાનું વળતર જાહેર કરાયું છે.

એટલે કે, પ્રત્યેક બાળ મૃતકના પરિવારજનને 31,75,700 રૂપિયા વળતર ચૂકવવામાં આવશે. તો મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવાર માટે 11,21,900 નું વળતર જાહેર કરાયું છે. મૃતક ફાલ્ગુની પટેલના પરિવાર માટે 16,68,029 નું વળતર જાહેર કરાયું છે. આ ઉપરાંત બે ઇજાગ્રસ્તોને 50-50 હજારનું વળતર જાહેર કરાયું છે. આ તમામને અરજી દાખલ તારીખથી વસૂલ થતા સુધીના સમયગાળા માટે વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે વળતર આપવાનો આદેશ કર્યો છે. હરણી લેક ઝોન કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને આ વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
Reporter: admin