મુંબઈ: મહારાષ્ટ્રમાં જન્માષ્ટમીના અવસરે યોજાયેલા દહીં-હાંડી ઉત્સવ દરમિયાન મુંબઈ, થાણે અને પુણેમાં અનેક દુઃખદ અકસ્માતો સામે આવ્યા. માનવ પિરામિડ બનાવીને દહીં-હાંડી ફોડતી વખતે મુંબઈ અને થાણેમાં કુલ 212 ગોવિંદા ઈજાગ્રસ્ત થયા. તેમાં મુંબઈના 168 અને થાણેના 44 ગોવિંદાનો સમાવેશ થાય છે.
મુંબઈના માલવાણી વિસ્તારમાં દહીં-હાંડી કાર્યક્રમ દરમિયાન ઈંટનો થાંભલો પડતાં 7 વર્ષના બાળકનું મોત થયું હતું. જ્યારે પુણેના પિંપરી-ચિંચવડમાં દહીં-હાંડી કાર્યક્રમ માટે લગાવવામાં આવેલા લોખંડના માળખાનો એક ભાગ પડતાં 45 વર્ષીય મહિલાનું મોત થયું હતું.
દહીં-હાંડી ઉત્સવ દરમિયાન ગોવિંદાઓ અનેક સ્તરનો માનવ પિરામિડ બનાવીને ઊંચાઈ પર લટકાવેલી હાંડી ફોડે છે. આ દરમિયાન સંતુલન બગડવા અને નીચે પડી જવાથી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત ગોવિંદાઓને મુંબઈ અને આસપાસની વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતો બાદ કાર્યક્રમના સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. વહીવટીતંત્ર અને આયોજકો દ્વારા આવા કાર્યક્રમો દરમિયાન સુરક્ષા નિયમોનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
Reporter: admin







