વડોદરા શહેરમાં શ્રાવણ માસ દરમિયાન જુગાર અને પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવા પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે. જેના પગલે પાણીગેટ પોલીસે શાંતીનગર-2 પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડી પત્તા વડે હારજીતનો જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂ.71,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ રાકેશભાઈ ભેરુલા અને અ.હે.કો. વિજયભાઈ દિપુભાઈને બાતમી મળી હતી કે, શાંતીનગર-2 પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો પત્તા-પાના અને પૈસા વડે જુગાર રમી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડતા ઇમરતસિંગ દિલીપસિંગ સીકલીગર, બાદલસિંગ સંતોકસિંગ શીખ, ક્રિષ્ના વિજયભાઈ ગોદડીયા, જયેશ શ્યામદુલારે રાજભર, ગણપતભાઈ મગનભાઈ માળી, જીતુ નગીનભાઈ માળી, સુમીત રાજેશભાઈ વણઝારા અને દલપત દિનેશભાઈ વણઝારા જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે તમામ 8 શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ સહિત કુલ રૂ.71,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં પાર્ટ-બી ગુ.ર.નં. 11196017260507/2026 હેઠળ જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin







