વડોદરા: માંજલપુરમાં રહેતા બિઝનેસમેને ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આપઘાતનું કોઇ કારણ હજી જાણી શકાયું નથી.
માંજલપુર પુષ્પ હાઇટ્સમાં રહેતા સુનિલભાઇ દળવી ( ઉં.વ.૩૨) સોલર પેનલનો ધંધો કરે છે. ગઇકાલે રાતે તેમણે બેડરૃમમાં ઓઢણી વડે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. પોલીસ તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, વર્ષ - ૨૦૨૩ માં મિનલબેન અને સુનિલભાઇની મુલાકાત નવલખીના ગરબા ગ્રાઉન્ડમાં થઇ હતી. ત્યારબાદ તેઓએ લગ્ન કર્યા હતા. તેમના પત્ની ગર્ભવતી છે અને ફેશન ડિઝાઇનનું કામ કરે છે. ગઇકાલે રાતે સાડા નવ વાગ્યે સુનિલભાઇ ઓફિસેથી ઘરે આવ્યા હતા.
પત્નીએ જમવાનું કહેતા તેમણે ના પાડી હતી. જેથી, પત્ની ચાલવા નીકળી ગયા હતા. તેઓ ચાલીને પરત આવ્યા પછી પતિ સાથે થોડી વાતો કરી હતી. ત્યારબાદ સુનિલભાઇ બીજા બેડરૃમમમાં જતા રહ્યા હતા. થોડીવાર પછી પત્ની બેડરૃમમાં ગયા ત્યારે પતિએ ઓઢણી વડે ફાંસો ખાઇ લીધો હતો. તેમણે બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. કાતરથી ઓઢણી કાપીને સુનિલભાઇને નીચે ઉતારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. આપઘાતનું કોઇ કારણ જાણી શકાયું નથી. માંજલપુર પોલીસ સ્ટેશનના હે.કો. સુરેશભાઇએ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Reporter: admin