News Portal...

Breaking News :

પ્રેમાનંદજી મહારાજની દૈનિક પદયાત્રા અનિશ્ચિત સમય માટે મુલતવી, ભક્તોમાં ચિંતા અને ભાવુકતા

2026-05-18 15:13:24
પ્રેમાનંદજી મહારાજની દૈનિક પદયાત્રા અનિશ્ચિત સમય માટે મુલતવી, ભક્તોમાં ચિંતા અને ભાવુકતા


વૃંદાવનમાં ભક્તિ અને શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયેલી પ્રેમાનંદજી મહારાજની દૈનિક પદયાત્રા અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી હોવાનું આશ્રમ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. 


આ નિર્ણય બાદ દેશ-વિદેશના ભક્તોમાં નિરાશા અને ચિંતા જોવા મળી રહી છે. માહિતી મુજબ, પ્રેમાનંદજી મહારાજ દરરોજ પોતાના કેલી કુંજ આશ્રમથી સૌભારી કુંડ સુધી પદયાત્રા કરતા હતા. તેમની એક ઝલક મેળવવા અને આશીર્વાદ લેવા માટે હજારો ભક્તો માર્ગ પર કલાકો સુધી રાહ જોતા હતા. પદયાત્રા દરમિયાન મહારાજ ભક્તોને આધ્યાત્મિક અને ધાર્મિક સંદેશા પણ આપતા હતા, જેના કારણે આ યાત્રા ભક્તો માટે વિશેષ આસ્થા અને શ્રદ્ધાનો વિષય બની ગઈ હતી.આશ્રમ વહીવટી તંત્રે પદયાત્રા અને ખાનગી વાર્તાલાપ કાર્યક્રમો આગામી સૂચના સુધી મુલતવી રાખ્યાની જાહેરાત કરી છે, પરંતુ આ નિર્ણય પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જેના કારણે ભક્તોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.


આશ્રમ સાથે સંકળાયેલા લોકોએ ભક્તોને અફવાઓથી દૂર રહેવા અને ધીરજ રાખવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર પણ પ્રેમાનંદજી મહારાજની પદયાત્રા અને સત્સંગના વીડિયો ખૂબ લોકપ્રિય રહ્યા છે, જેના કારણે દેશભરમાં મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયેલા છે.પદયાત્રા બંધ થયાની ખબર મળતા ઘણા ભક્તો ભાવુક બની ગયા હતા. કેટલાક ભક્તોએ જણાવ્યું હતું કે તેઓ દરરોજ મહારાજના દર્શન માટે આવતા હતા અને આ નિર્ણયથી તેઓ દુઃખી થયા છે. હાલમાં તમામ ભક્તો આશ્રમ તરફથી વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છે અને પરિસ્થિતિ સામાન્ય થયા બાદ પદયાત્રા ફરી શરૂ થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

Reporter: admin

Related Post